“અધૂરી વાત”
શું તમે “ટેલીપથી” માં માનો છો યશશ્રી? ટેલીપથી એ વિચારોનો મોબાઈલ ફોન છે, આત્મીય સબંધ ધરાવતી વ્યક્તિઓ વચ્ચેનો કોમ્યુનિકેશન પાથ છે. તમે “ટેલીપથી” માં માનો છો કે નહિ? એ મને ખબર નથી યશશ્રી, પણ ભાર્ગવ માને છે. તમે અને ભાર્ગવ બંને જીવનની અલગ અલગ દિશામાં રહેતા, રૂટિન જીદંગી જીવતા, સામાન્ય પગારવાળી નોકરી કરતા મધ્યમવર્ગીય માણસો છો.
આમ, સીધી રીતે જોવા જઈએ તો તમારા બંને વચ્ચે નામ આપી શકાય એવો સીધો સબંધ કોઈ નથી. પરંતુ તમારા વચ્ચે એક સરળ, સ્વસ્થ અને પવિત્ર કહી શકાય એવું આત્મીય સંવેદન છે.
તે દિવસે જયારે તમે ભાર્ગવના કહેવાથી રોજિંદા અખબારમાં “ઝુબિન” ની વાર્તા વાંચી ત્યારે તમને એમ લાગ્યું કે આ વાર્તા તો તમારા સાથે બનેલી ઘટના છે. દરેક વાર્તાની કહાની ક્યારેક તો કોઈના જીવનમાં બનેલી ઘટના જ હોય છે, યશશ્રી.
એ વાર્તા વાંચવા માટેનું ભાર્ગવનું સૂચન, એ પણ કદાચ “ટેલિપથી” જ હશે. તમે મનોમન ભાર્ગવનો આભાર માન્યો. એ વાર્તા વાંચીને એ દિવસે તમે બહુ રડ્યા હતા. રાતનું એકાંત અને રુદન, આ બંને ના લીધે તમારું મન બીજે દિવસે હળવું થઇ ગયું. તમે ભાર્ગવનો આભાર વ્યક્ત કરવા મેસેજ કર્યો ત્યારે તમારાથી એમ પણ લખાય ગયું કે તમે વાર્તા વાંચીને બહુ રડ્યા.
તમારો મેસેજ વાંચીને ભાર્ગવ પણ એ વાર્તા બે વાર વાંચી ગયો. એ ભાર્ગવ ત્યારથી તમને રડવાનું કારણ પૂછે છે અને તમે બીજો કોઈ જવાબ આપી અથવા કોઈ બહાનું કાઢી વાત બદલી નાખો છો યશશ્રી. એ અધૂરી વાત જાણવા ભાર્ગવ તમને કોઈ ને કોઈ બહાને મેસેજ કરીને દરેક વખતે એ વાત પૂછે છે, પરંતુ તમારી સમજદારી અને ચતુરાઈ સામે એ દરેક વખતે નિષ્ફળ જ જાય છે.
તમારું અંતરમન એમ માને છે યશશ્રી કે અંગત વાત બધા સાથે શેર ના કરાય. તમે કોઈ વાર વિચારો છો કે કહી દઉં એને પણ પછી તમારું દિમાગ ના પાડે છે. તમે અસમંજસ મા છો કે કહું કે ના કહું? સાપેક્ષવાદની થીયરી મુજબ (મારા મંતવ્ય મુજબ) દરેક વ્યક્તિ નો વાત, વસ્તુ કે ઘટનાને જોવાનો નજરિયો અલગ હોય છે. દરેક વ્યક્તિ એને પોતાની ક્ષમતા મુજબ મૂલવે છે. એવી કોઈ વાત હોતી નથી કે જેને શેર ન કરી શકાય. હા, એટલું ચોક્કસ હોય છે કે તમે કોની સાથે શેર કરો છો? એ વ્યક્તિની ક્ષમતા એ વાતને પચાવવાની કે મૂલવવાની હોવી જોઈએ. તમને ભાર્ગવ પ્રત્યે કોઈ શંકા નથી તો મહેરબાની કરી, તમે ભાર્ગવને એ “અધૂરી વાત” શેર કરો. સુખ વહેચવાથી વધે અને દુખ ઓછું થાય........
Comments
Post a Comment